રવિવાર, 14 સપ્ટેમ્બર, 2008

નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

પવન તું, પાણી તું, ભૂધરા!
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એજ આશે..

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે..

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે..

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એજ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના,
પ્રીત કરૂં, પેમથી પ્રગટ થાશે..

ટિપ્પણીઓ નથી: